યાત્રાધામ સાળંગપુર. અહીં શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે.
નવું ભોજનાલય કેમ બનાવવું પડ્યું?
આ અંગે વાત કરતાં શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે ”અત્યારે મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું છે, જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે. શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું. આ નવું ભોજનાલય અંદાજે 35થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે ”