ઘોલેરા તાલુકાના કેટલાક ગામોમાં વીજપુરવઠો ખોરવાતા ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરાયો
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ઘોલેરા તાલુકામાં ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ પોલ, ફિડર તથા ટ્રાન્સીમટરને નુકસાન પહોંચ્યુ હતું. ઘણાં સ્થળોએ વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.ઘોલેરા તાલુકાના આ તમામ ગામોમાં તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે ઉત્તર ગુજરાત વીજ કંપની- સાબરમતી વર્તુળ કચેરી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જ બાવળા વિભાગીય કચેરીના તાબા હેઠળની કચેરીના બાહોશ સેવાકર્મીઓ દ્વારા યુધ્ધના ધોરણે સમગ્ર પરિસ્થિતીને નિયંત્રણ હેઠળ લાવી વીજપુરવઠો પૂર્વવત કરવાના પ્રયત્નો હાથ ધરાયા છે.
પ્રસ્તુત તસ્વીરમાં ધોલેરા તાલુકાના ઝાંખી ફીડર ઉપરના મહાદેવપુરા,ઝાંખી અને અન્ય ગામોનો વીજપુરવઠો ભારે વરસાદ ના કારણે ખોરવાઇ ગયો ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારી દ્વારા જનહિતને પ્રાધાન્યતા આપીને જીવના જોખમે કેડ સમા પાણીમાં ઉત્તરીને વીજપુરવઠો પૂર્વવત કરવા પ્રયત્નો હાથ ધરાયા હતા.કર્મચારીઓના અથાગ પ્રયાસોના ભાગરૂપે જ ગણતરીના કલાકોમાં જ ઝાંખી ફિડર અંતર્ગત આવતા ગામોને વીજપુરવઠો મળી રહ્યો હતો. જે બદલ વિવિધ ગ્રામજનોએ પણ કર્મચારીઓની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો.