નવી દિલ્હી: દક્ષિણના રાજ્ય કેરળમાં ફરીથી કોરોનાનું તાંડવ જોવા મળ્યું છે. એક દિવસમાં ફરીથી 30 હજાર ઉપર કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ કુલ કેસમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કુલ 41 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં કેરળનો સિંહફાળો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશભરમાં કોરોનાના 30,941 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 3,28,10,845 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 3,78,181 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 33,964 લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,19,93,644 પર પહોંચી ગઈ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 460 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,39,020 પર પહોંચી ગયો છે. ગઈ કાલે 350 લોકોના કોરોનાથી મોત થયા હતા. દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં 1,33,18,718 ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 65,41,13,508 ડોઝ આપવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે 16,06,785 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો 52,31,84,293 પર પહોંચી ગયો છે.