તાલિબાનનું શાસન અને તેની ક્રૂરતા સામે કાબુલ જ નહીં, પરંતુ દુનિયાભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રહેતા અફઘાનોએ પણ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. એમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પામ સામેલ હતાં. તેઓ અહમદ મસૂદને સમર્થન આપતા જોવા મળ્યા હતા, જે પંજશીરમાં તાલિબાન સામે લડ્યો હતો અને તાલિબાન-પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને પ્રદર્શન કર્યું હતું, જેના પર તાલિબાન મુર્દાબાદ, અફઘાનિસ્તાન તાલિબાનોનું સ્થાન નથી, અમારે આઝાદી જોઈએ છે, અફઘાનિસ્તાન ઘાયલ છે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેના પર પ્રતિબંધો લાદવા જોઈએ, જેવાં સૂત્રો લખ્યાં હતાં.પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ચીફ ફૈઝ હામીદના ફોટા સાથે અફઘાની મહિલાઓ વિરોધ કરી રહી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે, આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. પાકિસ્તાને અફઘાનોની હત્યા બંધ કરવી જોઈએ.અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા બાદ તાલિબાનો હવે તેનો મૃતદેહ સોંપતા નથી. રોહુલ્લાહના ભત્રીજા ઇબાદુલ્લાહ સાલેહે આ વાત જણાવી હતી. ગુરુવારે તેના કાકાની તાલિબાનોએ હત્યા કરી હતી અને જ્યારે તેનો મૃતદેહ માગવામાં આવ્યો ત્યારે તેમણે તેને આપવાનો ઇનકાર કર્યો હતો. તાલિબાને કહ્યું હતું કે અમે તેને દફનાવવા નહીં દઈએ, તેનું શરીર સડી જવું જોઈએ.સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહુલ્લાહ સાલેહની તાલિબાનોએ પંજશીર ખીણમાં હત્યા કરી હતી. તાલિબાને પહેલા સાલેહને ચાબુક અને ઇલેક્ટ્રિક વાયરથી માર્યો હતી, પછી તેનું ગળું કાપ્યું. બાદમાં તડપી રહેલા સાલેહ પર ગોળીઓનો વરસાદ થયો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહુલ્લાહ સાલેહ પંજશીરથી કાબુલ જવાની ફિરાકમાં હતો. તાલિબાનને આ વિશે ખબર પડી અને તેણે સાલેહને ઘેરી લીધો, તેને બંદી બનાવી લીધો અને પછી તેની નિર્દયતાથી હત્યા કરી. તેની હત્યાના સમાચાર શુક્રવારે સાંજે પ્રકાશમાં આવ્યા હતા.