મુંબઈ : પૂરવઠામાં સુધારો થતાં ખાદ્ય તેલના વૈશ્વિક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને પરિણામે ઘરઆંગણે પણ રિટેલ ભાવમાં ઘટાડો જોવા મળશે. પ્રાપ્ત ડેટા પ્રમાણે, ભારતની ખાદ્ય તેલની આયાતમાં ૬૦ ટકા હિસ્સો ધરાવતા પામ ઓઈલની પડતર કિંમત એક મહિનાની અંદર ૩૩ ટકા ઘટી પ્રતિ ટન ૧૧૫૦ ડોલર પર આવી ગઈ છે. ક્રુડ સોયાબીન તથા સનફલાવર ઓઈલની પડતર કિંમત પણ એક મહિનામાં અનુક્રમે ૨૪ તથા ૧૪ ટકા ઘટી પ્રતિ ટન ૧૪૦૦ ડોલર અને ૧૭૫૦ ડોલર આવી ગઈ છે. ખાદ્ય તેલના વાર્ષિક વપરાશમાંથી ૫૫ ટકા જેટલી આવશ્યકતા ભારત આયાત દ્વારા પૂરી કરે છે. મે ૨૦૨૨માં ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકતા તેના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જો કે ત્યારબાદ ઘરઆંગણે સ્થિતિ સુધરતા આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો. પ્રતિબંધ દૂર થતાં વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના પૂરવઠામાં વધારો થયો છે.ઘરઆંગણે ફુગાવાને અંકૂશમાં રાખવા સરકારે, વર્તમાન તથા આગામી નાણાં વર્ષ માટે ક્રુડ સોયાબીન તથા સનફલાવરને જકાત મુકત આયાતની યાદીમાં મૂકી દીધા છે.