અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 31મી ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટથી સી-પ્લેનમાં ઉડાન ભરી હતી અને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ આ સર્વિસ શરૂ થયાના એક મહિના પછી બંધ થઇ ગઇ હતી. મેઇન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદિવ્સ ગયેલું સી-પ્લેન હજી સુધી પરત આવ્યું નથી. બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, ધાર્મિક સંસ્થાનો સુધી હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જોયરાઈડ્ઝ શરૂ કરવા માટેની તૈયારી કરી લેવાઈ છે.રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે. આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં શરૂ કરાશે. વર્ષ 2019માં રાજ્ય સરકારે 191 કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરેલી છે. આ પહેલાં 20 વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એરએમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે.ગુજરાતના પવિત્ર યાત્રાધામ જેવાં કે દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના પછી રાજ્ય સરકાર બંધ થયેલું સી-પ્લેન ફરીથી શરૂ કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે. આ સર્વિસ કોરોના સંક્રમણના કારણે તેમજ સી-પ્લેન મરામત માટે મોકલવામાં આવ્યું હોવાથી બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જતા આ સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ કરવા માટે રાજ્યના સિવિલ એવિયેશન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમે યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે હેલિપોર્ટ બનાવી રહ્યા છીએ, જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે સી-પ્લેન ફરીથી શરૂ કરવા જઇ રહ્યા છીએઅમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા જતું સી-પ્લેન બંધ થતાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે શેત્રુંજી જળાશયમાં અને મહેસાણા પાસે ધરોઇ ડેમ પાસે શરૂ થનારી સી-પ્લેનની સર્વિસમાં ફરી એકવાર વિલંબ થયો છે. આ બન્ને સર્વિસ સ્પાઇસજેટ કંપની ઓપરેટ કરવાની હતી. હવે રાજ્યના કેબિનેટ મંત્રીએ રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ માલદિવ્સ ગયેલું પ્લેન પાછું આવશે કે બીજી કોઇ કંપનીના નવા સી-પ્લેનની સેવા લેવાશે એ અનિશ્ચિત છે.
Home Gujarat News Ahmedabad અમદાવાદથી કેવડિયા સુધીના સી-પ્લેનના ઠેકાણા નથી ત્યાં હવે લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની...