વોશિંગ્ટન : દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. ભારતના કેટલાક રાજ્યોમાં બીજી લહેર જોવા મળી રહી છે. કોરોના સામે લડવા માટે વિશ્વમાં અનેક કોરોના વેક્સિન તૈયાર કરાઇ છે. જેમાં મોટાભાગની વેક્સિનના બે ડોઝ જરૂરી છે. પરંતુ હવે એક એવી વેક્સિન સામે આવી છે, જેના બે ડોઝની જરૂર નથી. તેનું એક જ ડોઝ પૂરતું હશે. જોનસન એન્ડ જોનસન નામની કંપનીએ વેક્સિન બનાવી છે. આ કંપનીએ દાવો કર્યો છે કે, એક ડોઝ જ કોરોના વાયરસથી બચવા માટે પૂરતું છે. એફડીએના સલાહકાર શુક્રવારે ચર્ચા કરશે, જેના આધારે તેના ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી મળી શકે છે. સાથે જ એફડીએના વૈજ્ઞાનિકોનું માનીએ તો, આ રસી કોરોના વાયરસ રોકવા માટે ૬૬ ટકા ક્ષમતા રાખે છે. જોનસન એન્ડ જોનસનની આ રસીનો એક જ ડોઝ લેવો જરૂરી હશે અને તે ઉપયોગ માટે સુરક્ષિત છે. શુક્રવારે એફડીએના સ્વતંત્ર સલાહકાર આ અંગે ચર્ચા કરશે કે આ રસીને મંજૂરી આપવા માટે પૂરતાં પુરાવા છે. જે બાદ એફડીએ દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધી લગભગ ૪.૪૫ કરોડ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બે કરોડ લોકોને બે ડોઝ મળ્યાં છે.