નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. જેમાં કહેવાયું છે કે પેગાસસ જાસૂસી મામલાની તપાસ તજજ્ઞોની કમિટી કરશે. અત્રે જણાવવાનું કે કોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં સ્વતંત્ર તપાસની માગણી કરાઈ હતી. ચીફ જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ સૂર્યકાંત, અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે લોકોની વિવેકહીન જાસૂસી બિલકુલ મંજૂર નથી.
સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ આરવી રવિન્દ્રનના નેતૃત્વમાં SIT બનાવવાના આદેશ આપ્યા છે. જસ્ટિસ રવિન્દ્રન સાથે આલોક જોશી અને સંદીપ ઓબોરોય આ કમિટીનો ભાગ રહેશે. કોર્ટે કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારનું કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ નહતું. કોર્ટે કહ્યું કે પ્રાઈવસીના ભંગની તપાસ થવી જોઈએ.
બેન્ચે 13 સપ્ટેમ્બરના રોજ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખીને કહ્યું હતું કે તે ફક્ત એ જાણવા માંગે છે કે શું કેન્દ્રએ નાગરિકોની કથિત જાસૂસી માટે ગેરકાયદેસર રીતે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો કે નહીં?
કેન્દ્રનું કહેવું હતું કે આ જાહેર ચર્ચાનો વિષય નથી અને ન તો તે ‘રાષ્ટ્રીય સુરક્ષાના હિત’માં છે. અત્રે જણાવવાનું કે પેગાસસ જાસૂસી કેસમાં નિષ્પક્ષ તપાસ માટે 15 અરજી દાખલ થઈ હતી. આ અરજીઓ વરિષ્ઠ પત્રકાર એન રામ, સાંસદ જ્હોન બ્રિટાસ અને યશવંત સિન્હા સહિત અનેક લોકોએ દાખલ કરી હતી.
આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહના રિપોર્ટ્સ મુજબ લગભગ 300 પ્રમાણિત ભારતીયોના ફોન નંબર છે જે પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસીના સંભવિત નિશાના પર હતા.