આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનાર છે. રાજ્યમાં ધોરણ 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયાં છે. ત્યારે હવે દિવાળી બાદ રાજયમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારને રજુઆતો મળી રહી છે. આજે મળી રહેલી કેબિનેટની બેઠકમાં પણ આ વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટે મંથન થઈ શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે આ અંગે ચર્ચા વિચારણા થવાની શક્યતાઓ છે. નોંધનીય છે કે સ્કૂલોમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તેની સાથે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ જ છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરાશે. તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા પણ વિચારણા થશે. હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં ગુજરાતની જનતાને તાઉ તે વાવાઝોડાથી નુકસાન ભોગવ્યું હતું, તાઉ તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ તથા તાઉ તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે.