અમદાવાદ :વર્તમાન સમયમાં ઇલેક્ટ્રીક વાહનો (E vehicles ) ના ઉપયોગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અને તેમા પણ પર્યાવરણના જતન અને વાયુ પ્રદૂષણ (pollution) ને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગ ઉપર ભાર મૂકી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ દિશામાં નક્કર પોલીસી ઘડી આગળ વધવાનુ નક્કી કર્યુ છે. જે અંતર્ગત ઇલેક્ટ્રીક વાહન ચાર્જિંગ પોલીસીને એએમસી (AMC) ની કારોબારી સમિતી સમક્ષ મૂકવામાં આવી છે, જે અંગે આવતીકાલે મળનારી બેઠકમાં આખરી નિર્ણય કરવામાં આવશે.
નોંધનીય છે કે, પર્યાવરણના જતન અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી કેન્દ્ર અને રાજય સરકારે ઈલેકટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા નિતી જાહેર કરી છે. જે બાદ હવે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ પોલિસી-2021 તૈયાર કરી છે. જે અંતર્ગત આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ 300 સ્થળોએ ઈલેકટ્રિક વાહનોના ચાર્જિંગ માટે સ્ટેશન બનાવવા માટેના લોકેશન નક્કી કરવામાં આવશે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે એએમસી તરફથી એક રૂપિયાના ટોકન ભાડાથી ચોરસ મીટરના ભાડુ નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે. જેમાં સ્થળ ઉપર નિયત કરેલા ચાર્જર લગાવવાના રહેશે અને તમામ લોકેશનોનો મેપ તૈયાર કરી તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે.
આ પણ વાંચો : સડીને કીડા પડી ગયા, તીવ્ર ગંધ મારે તેવા ચહેરાની ગુજરાતમાં પહેલીવાર સર્જરી કરાઈ
કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ શહેરમાં ભવિષ્યમાં નવા બનનાર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ રાખવા ફરજિયાત બનાવશે. આ માટે જીડીસીઆરમાં સુધારો કરાશે. જેમાં આ નવી બિલ્ડિંગમાં હવે ઇલેક્ટ્રિક વાહનોને અનુકૂળ હોય તેવી પાર્કિંગ વ્યવસ્થા હશે. એટલે કે પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે. આ ઉપરાંત આગામી 90 દિવસમાં જ શહેરમાં 300 સ્થળે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.