આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરને 9.2 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. મહિલાના પરિવારે 3.2 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની સાથે 6 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ આપ્યા છે. આ દાન 76 વર્ષની એક મહિલા ભક્તે કર્યું છે, જે હવે આ દુનિયામાં નથી. જાણકારી મુજબ ચેન્નઈના ડૉ. પર્વતમે પોતાની સંપત્તિ મંદિરના નામે કરી હતી, જેમનું નિધન થઈ ગયું છે.વ્યવસાયે ડૉકટર પર્વતમ ભગવાનનાં મોટાં ભક્ત હતાં. તેમણે લગ્ન કર્યા નહોતાં. તેઓ હંમેશાંથી પોતાની પ્રોપર્ટી મંદિરને સોંપવા માગતાં હતાં. તેઓ પોતાની સંપત્તિ તિરુપતિમાં બની રહેલી બાળકોની હોસ્પિટલમાં આપવા માગતાં હતાં. તેમની બહેન રેવતી વિશ્વનાથમે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સમિતિના અધ્યક્ષને અપીલ કરી કે દાન કરવામાં આવેલી રકમમાંથી 3.2 કરોડ રૂપિયા ચિલ્ડ્રન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને આપવામાં આવે.તિરુપતિ વેંકટેશ્વર મંદિર પ્રસિદ્ધ હિન્દુ તીર્થસ્થળ છે, જે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. દર વર્ષે અહીં લાખો લોકો દર્શન કરવા આવે છે. મંદિરમાં ભગવાન વેંકટેશ્વર કે બાલાજી (ભગવાન વિષ્ણુ)ની પ્રતિમા સ્થાપિત છે. ગત વર્ષે આ મંદિરમાં 1 જાન્યુઆરી 2021થી 30 ડિસેમ્બર 2021 સુધી દાનપાત્રમાં 833 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો હતો. મંદિરને દાનમાં મળેલું 7235 કિલો સોનું, દેશની 2 બેંક અને 1934 કિલો સોનું ટ્રસ્ટની પાસે રાખવામાં આવ્યું છે. દર વર્ષે તિરુપતિ મંદિરમાં લગભગ 1000-1200 કરોડનો ચઢાવો આવે છે