‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટની બધી જ માહિતી; PM આજે એવન્યૂનું ઉદ્ધાટન કરશે

0
137
વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી 3 કિલોમીટર લાંબો રાજપથ આધુનિક સુવિધાઓ સાથે 19 મહિના પછી ફરીથી ખૂલવા માટે તૈયાર છે.
‘સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ’ વર્ષ 2024માં પૂર્ણ થશે. તેમાં નવા સંસદ ભવનથી માંડીને નવું પીએમ આવાસ અને રાષ્ટ્રપતિ ભવન સામેલ હશે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કરશે. સામાન્ય જનતા માટે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ 9 સપ્ટેમ્બરે ખૂલશે. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથની બંને બાજુના વિસ્તારને ‘સેન્ટ્રલ વિસ્ટા’ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, રેલવે ભવન, સંસદ ભવન, કૃષિ ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, રક્ષા ભવન, રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય આર્કાઈવ્સ, બીકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ સહિત કેટલીય સરકારી બિલ્ડિંગો છે. અત્યારે હાલ થોડાં જ વિસ્તારોને સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે, બાકીના ભાગોને પુનઃનિર્માણ બાદ ખોલવામાં આવશે. વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી 3 કિલોમીટર લાંબો રાજપથ આધુનિક સુવિધાઓ સાથે 19 મહિના પછી ફરીથી ખૂલવા માટે તૈયાર છે. દિલ્હીમાં પ્રવાસીઓ માટે સૌથી પ્રિય વિસ્તાર ઈન્ડિયા ગેટ નવા અવતારમાં લોકોને પાછો મળવાનો છે. ‘સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ’ નામથી પ્રખ્યાત આ જગ્યાના પુર્નવિકાસનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. સેન્ટ્ર્લ વિસ્ટા પુર્નવિકાસ પરિયોજના હેઠળ ત્રિકોણીય આકારનું નવું સંસદ ભવન, બધા જ મંત્રાલયો માટે કેન્દ્રીય સચિવાલય, નવા કાર્યાલય, વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટર લાંબા રાજપથમાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે આવાસનું નિર્માણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પર સ્થિત વિરાસત બિલ્ડિંગો જેવી કે સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક જેવા કેટલાંક જૂના ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. જેથી નવી જરૂરિયાતોને પૂરી કરી શકાય. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માટેના માર્ગ રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવશે. આ રાતથી જ તેના ત્રણ ભાગમાંથી પહેલો ભાગ એટલે કે માનસિંહ રોડથી જનપથ, જનપથથી રફી માર્ગ જાહેર જનતા માટે ખોલવામાં આવશે. બાકીના બે ભાગ- ઈન્ડિયા ગેટ અને સી-હેક્સાગન પછી ખોલવામાં આવશે. આ એવન્યૂનું પાર્કિંગ શરૂઆતના એક-બે મહિના માટે ફ્રી રહેશે, બાદમાં તેના ભાવ નવી દિલ્હી નગરપાલિકા નિગમ દ્વારા નક્કી કરવામાં આવશે. અહીં 1125 કાર અને 40 બસના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાત માટે આવનારા લોકો શોપિંગ પણ કરી શકશે. આ ઉપરાંત 5 વેન્ડિંગ ઝોન પણ હશે. દરેક ઝોનમાં 40-40 વેન્ડર હશે. વેન્ડર નાના-નાના બાસ્કેટોમાં સામાન વેચી શકશે. આ રીતે લગભગ 200 વેન્ડર હશે. ત્યાં 8-8 દુકાનોના બે બ્લોક પણ તૈયાર કરવામાં આવ્યાં છે. દિલ્હી પ્રવાસનના સહયોગથી રાજ્યોને આ દુકાનો આપવામાં આવી છે અને અહીં અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ પણ લોકોને મળી શકશે. પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વેન્ડિંગ પ્લાઝાને એ રીતે બનાવવામાં આવ્યા છે કે, પદયાત્રીઓને કોઈ પણ હેરાનગતિ ન થાય. અહીં રાહદારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ ચાર અંડરપાસ બનાવવામાં આવ્યા છે. બે જનપથ તરફ અને બે અંજરપાસ સી-હેક્સાગનની તરફ બનાવવામાં આવ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે 16 પુલ પણ બનાવવામાં આવ્યા છે. વાણિજ્ય ભવનની પાછળ બનાવવામાં આવેલી કેનાલ અને કૃષિ ભવનની તરફ બનાવવામાં આવેલી નહેરમાં બોટીંગ કરી શકાશે. નહેરનો વિસ્તાર કુલ 19 એકરની આસપાસ છે. ફેબ્રુઆરી 2021માં શરૂ થયેલો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હવે પૂરો થઈ ગયો છે. અહીં 3,90,000 સ્ક્વેર મીટર ગ્રીન એરિયા છે. 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ એવન્યૂ ઉદ્ઘાટન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. લોકોને ચાલવા માટે 16.5 કિમીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર લાલ પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રસ્તા પર 974 લાઈટ પોલ લગાવવામાં આવ્યા છે. સલામતી માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. 1.1 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 4087 વૃક્ષોની હરિયાળી પહેલાંની જેમ જાળવવામાં આવી છે. લગભગ 675 નવી માર્ગ પટ્ટીઓ બનાવવામાં આવી છે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટ કેન્દ્રની એનડીએ સરકારની એક મહત્વાકાંક્ષી પરિયોજના છે, જેનો ઉદ્દેશ્ય 1930ના દશકમાં અંગ્રેજો દ્રારા બનાવેલા લુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા નામના 3.2 કિલોમીટરના ભાગનો પુનઃવિકાસ છે. આ પરિયોજનામાં સરકારી ભવનોને તોડી તેના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે. 20,000 કરોડના ખર્ચે બનાવેલા આ પ્રોજેક્ટમાં નવા સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવા સંસદ ભવનના નિર્માણ પર લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 2019માં આ પરિયોજનાની ઘોષણા કરી હતી. આ પરિયોજનામાં 10 ઈમારતોના બ્લોક્સની સાથે નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના આવાસ તેમજ બધા જ સરકારી મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ થાય છે. 2024 સુધી આ પ્રોજેક્ટ પૂરો થવાનો અંદાજ છે. નવા સંસદ પરિસરનો આકાર ત્રિકોણ હશે. જે કુલ 64,500 વર્ગ મીટરમાં વિસ્તરેલો હશે. તે હાલના સંસદ ભવન કરતાં ઘણું મોટું હશે. આમાં 1224 સંસદ સભ્યોની ઓફિસ હશે. નવા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈનનો મુખ્ય આધાર હશે. નવી બિલ્ડિંગમાં લોકસભામાં 888 સાંસદ અને રાજ્યસભામાં 384 સાસદોના બેસવાની વ્યવસ્થા હશે. કોરોના મહામારીમાં બીજી લહેર વખતે મોદી સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એપ્રિલમાં દેશમાં કોરોનાના વધતા કેસોની સામે હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ અને દવાઓની આફત ઊભી થઈ હતી. જેને જોતા વિપક્ષના નેતાઓએ સરકારને આ પરિયાજના પાછી ખેંચવા અને કોરોના વાયરસ સામે લડત માટે આ પૈસાનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા લોકોમાં અન્ય સંરક્ષણવાદીઓને સમાવેશ થાય છે. તેમનું માનવું છે કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઈન કરેલા વર્તમાન ઈમારતના ઈતિહાસની સાથે હસ્તક્ષેપ છે. તેમના જણાવ્યા અનુસાર, 1927ની ઈમારત હવે ખોવાઈ ગયેલી ધરોહર હશે. આ ઉપરાંત પર્યાવરણવાદીઓએ પ્રોજેક્ટને પર્યાવરણ માટે ખતરો દર્શાવી તેનો વિરોધ કર્યો હતો. તેમણે આ પરિયોજનાને મહામારી ખતમ થાય ત્યાં સુધી રોકવા અપીલ કરી હતી. 65 સંગઠનોએ આ બાબતે પોતાના મંતવ્યો જણાવી કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ રોકવા અપીલ કરી હતી. આ પ્રોજેક્ટ હેઠળ બનનારા કાર્યાલયો માટે રસ્તો બનાવવાના ઉદ્દેશ્યથી વિસ્તારની કેટલીય ઐતિહાસિક ઇમારતોને તોડી પાડવામાં આવશે. પરિયોજના માટે કુલ 4,58,820 વર્ગ મીટર વિસ્તારને તોડી પાડવામાં આવશે. આ ઈમારતો જનપથ માર્ગ પર ઈન્દિરા ગાંધી કળા કેન્દ્રની જગ્યા લેશે, જે રાષ્ટ્રીય પાટનગરની એક ઐતિહાસિક ઈમારત છે. હવે તેને હૈદરાબાદ હાઉસની સામે શિફ્ટ કરવામાં આવશે. માત્ર INGCA જ એવી બિલ્ડિંગ નથી જે તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત શાસ્ત્રી ભવન, કૃષિ ભવન, વિજ્ઞાન ભવન, ઉપરાષ્ટ્રપતિ આવાસ, નેશનલ મ્યુઝિયમ, જવાહરલાલ નહેરુ ભવન, નિર્માણ ભવન, ઉદ્યોગ ભવન, રક્ષા ભવન, એનેક્સી બિલ્ડિંગ અને પીએમ આવાસ, લોક કલ્યાણ માર્ગ સહિત 12 ઐતિહાસિક ઈમારતો તોડી પાડવામાં આવશે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here