અમદાવાદ : નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે સવારે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાન દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એસ. એસ.રાઠોર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ, શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ હેઠળ, મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તે લોકોની સેવા માટે તૈયાર છે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે. જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે. જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે. ₹12925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ સામેલ છે. બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે.
Home Gujarat News Ahmedabad પીએમ મોદી પ્રારંભ કરાવે તે પહેલા સીએમ પટેલે અમદાવાદ મેટ્રો રેલના અંતિમ...