અમદાવાદ: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે ત્યારથી વરસાદ પણ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આગામી ત્રણ દિવસ પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 8 અને 9 સપ્ટેમ્બરે એટલે આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે એનડીઆરએફની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.રાજયમાં અત્યાર સુધી 427.06 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 50.84 ટકા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે.ભારેથી અતિભારે વરસાદને કારણે એન.ડી.આર.એફ.ની કુલ 8 ટીમોને ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ મોકલવામાં આવી છે. આ સાથે 6 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે તૈયાર રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.મંગળવારે મોડી સાંજે ધાનેરા પંથકમાં આવેલા ભારે વાવાઝોડા સાથેના વરસાદે તબાહી મચાવતા લોકો હવે વરસાદથી તોબા પોકારી ઉઠયા છે. ધાનેરામાં પણ જોરદાર પવન અને વાવાઝોડા સાથે ત્રણ કલાક સુધી વરસાદી ઝાપટું પડયું હતું પરંતુ આ ત્રણ કલાક સુધીમાં તો વાવાઝોડા એ અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો ખડા કરી દીધા હતા. ભારે વાવાઝોડાથી મુખ્ય માર્ગ પરના વર્ષો જુના અનેક વૃક્ષો ધરાશાયી થઇ જતા રોડ બંધ થઈ ગયો હતો. જ્યારે પોલીસ સ્ટેશનમાં ઉભેલો મોબાઇલ ટાવર પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. આ સિવાય અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થતા યુજીવીસીએલને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.