નવી દિલ્હી : આપણા દેશમાં સમાન નાગરિક સંહિતાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકાર આ કાનૂન દેશમાં લાગુ કરી શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આખા દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાનો હાલ કોઈ વિચાર નથી, પરંતુ રાજ્ય સરકારો આવો કાયદો લાવવા માટે સ્વતંત્ર છે. કેન્દ્ર સરકાર વતી કાયદા પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે સંસદમાં એક પ્રશ્નનો જવાબ આપતાં સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર હાલમાં સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવા પર વિચાર કરી રહી નથી.તેમણે કહ્યું કે તેનું એક કારણ એ છે કે સુપ્રીમ કોર્ટમાં આ અંગે ઘણા કેસ પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. આ ઉપરાંત કાયદા મંત્રીએ એ પણ જણાવ્યું કે બંધારણ મુજબ રાજ્ય સરકારોને તેમના વતી તેમના રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.કાયદા પંચે પારિવારિક કાયદામાં સુધારાને લઈને તેની વેબસાઈટ પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે. આ કાયદો યુનિફોર્મ સિવિલ કોડને લગતા મોટાભાગના મુદ્દાઓને આવરી લે છે. કેન્દ્ર સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તરાખંડ સરકાર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર ઝડપથી કામ કરી રહી છે. 14 જુલાઈના રોજ, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી.12 ફેબ્રુઆરીએ, આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે સરકારની રચના થતાં જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. રાજ્યમાં બે તૃતિયાંશ બહુમતીથી ભાજપ સત્તામાં પરત ફર્યા બાદ ફરીથી મુખ્ય પ્રધાન બનેલા ધામીએ રાજ્યની પ્રથમ બેઠકમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા નિષ્ણાત સમિતિની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી.સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની બેઠકમાં અન્ય સભ્યોએ પણ હાજરી આપી હતી અને યુનિફોર્મ સિવિલ કોડના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી હતી કે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવશે.