મુંબઈ એરપોર્ટ આગામી બીજી મેના રોજ ૬ કલાક માટે બંધ રાખવામાં આવશે. ચોમાસા પહેલાની જાળવણીનું કામ પાર પાડવા માટે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન વિમાન-મથક બંધ રાખવામાં આવશે.
એરપોર્ટના બન્ને રનવે છ કલાક બંધ રહેશે. એટલે આ દરમ્યાન કોઈ વિમાનનું ઉડ્ડયન અને ઉતરાણ થશે નહીં.
બીજી મેના રોજ છ કલાક એરપોર્ટ બંધ રહેવાનું હોવાથી ૨૫૦ ફ્લાઇટ રદ થશે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ગણના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. દરરોજ સરેરાશ ૯૦૦ ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઓપરેટ થાય છે. એટલે જ આ એરપોર્ટને કોઇ સમસ્યા ઉભી ન થાય એ રીતની જાળવણી કરીને સજ્જ રાખવામાં આવે છે.
મુંબઇમાં ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદને ધ્યાનમાં લઇ મે મહિનાની શરૃઆતમાં જ જાળવણીનું કાર્ય પૂરું કરવામાં આવશે. આ પહેલાં ગયા વર્ષે ૧૮મી ઓક્ટોબરે જાળવણીનું કાર્ય કરવામાં આવ્યું હતું.