મુંબઈ: મુંબઈ પોલીસને શહેરના ત્રણ મોટા રેલવે સ્ટેશન (3 Railway station of Mumbai) અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યાં ફોન કૉલ બાદ પોલીસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે. જોકે, પોલીસને તલાશી દરમિયાન કંઈ મળ્યું નથી. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલામાં બોમ્બ રાખવામાં આવ્યો છે અધિકારીએ કહ્યુ કે, ‘કૉલ મળ્યા બાદ રેલવે પોલીસ, રેલવે સુરક્ષા દળ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને સ્થાનિક પોલીસે આ જગ્યાએ પર તલાશી અભિયાન ચલાવ્યું હતું. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘આ જગ્યાઓ પર તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.’ હાલ આ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ શુક્રવારે રાત્રે ચાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે તો બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટે પણ સરકારની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટ્સની અસર વધી રહી છે. નાશિકમાં ડેલ્ટા વેરિએન્ટ્સના 30 કેસની પુષ્ટિ થઈ છે. હાલ તેમના નમૂનાને જીનોમ સિક્વેન્સિંગ માટે પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણથી બહાર નીકળી રહેલા મહારાષ્ટ્રમાં હાલ અનલૉક ચાલુ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે.