નવી દિલ્હી : દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમનાથી નારાજ છે. આ આખી ઘટનામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનેઆનો ભોગ બનવું પડી શકે છે કારણ કે, પાર્ટી અહીં હિંદુત્વની નાવ પર સવાર થઈને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ મંત્રીના વીડિયોના કારણે પાર્ટી કલંકિત થઈ રહી છે. આ દરમિયાન કેજરીવાલને લઈને ગુજરાતના રસ્તાઓ પર અનેક જગ્યાએ કાળા હોર્ડિંગ્સ જોવા મળ્યા છે. આ પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને મુસ્લિમ વેશમાં બતાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે કેજરીવાલ શનિવારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે બે દિવસીય રાજ્યની મુલાકાતે જવાના છે. ગુજરાતના રસ્તાઓ પર આમ આદમી પાર્ટીને લઈને બ્લેક હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યુ છે કે, હું હિંદુ ધર્મને ગાંડપણ માનું છું. આ સિવાય લખ્યું છે કે, હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ભગવાન નથી માનતો, તેમજ અન્ય એક પોસ્ટર પર લખ્યુ છે કે, હું શ્રાદ્ધ,પિંડદાન કે કોઇ હિંદુ ક્રિયાઓ કરીશ નહી. આ હોર્ડિંગ્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. રાજેન્દ્ર પાલ ગૌતમના કારણે પાર્ટીને નુકસાન થઈ શકે છે. રાજકોટમાં 11 મેના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, દિલ્હીના CMએ એક વૃદ્ધ મહિલાને વચન આપ્યું હતું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો રામ લલ્લાના જન્મસ્થળની મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે દિલ્હીની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના હેઠળ સરકાર લોકોને વિવિધ ધાર્મિક સ્થળોની મફત મુલાકાત કરાવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરવાના છે. જેને લઇને AAPના પ્રદેશ મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, બંને નેતાઓ શનિવારે આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના દાહોદ શહેરમાં સંયુક્ત રીતે જાહેર સભાને સંબોધશે. આ પછી તેઓ વડોદરા શહેરમાં ‘તિરંગા યાત્રા’માં ભાગ લેશે. સોરઠિયાના જણાવ્યા અનુસાર, રવિવારે કેજરીવાલ અને માન આદિવાસી બહુલ વલસાડ જિલ્લાના ધરમપુર અને ત્યારબાદ સુરત જિલ્લાના કડોદરા ખાતે જાહેર સભાને સંબોધશે. મહત્વનું છે કે, આ બે દિવસો દરમિયાન કેજરીવાલ અને માન ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા રાજ્યના સામાજિક અને અન્ય ક્ષેત્રોના નેતાઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી પરીણામ ભોગવવું પડી શકે છે કારણ કે, પાર્ટી અહીં હિંદુત્વની નાવ પર સવાર થઈને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.