ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બંનેને લેપ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. દેશની સૌથી જૂની પાર્ટીએ કહ્યું કે વડા પ્રધાનની આત્મ મુગ્ધતા ચરમસીમાએ છે. ત્યારે BJPએ તેને ‘ક્રિકેટ ડિપ્લોમસી’ ગણાવી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે.’ ત્યારે BJP આઈટી સેલના વડા અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને તેને ‘ક્રિકેટ ડિપ્લોમસી’ ગણાવી છે.
મોદી અને અલ્બનીઝે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી ગોલ્ફ કારમાં આખા મેદાનમાં લેપ ઓફ ઓનર લીધું હતું. બંને નેતાઓએ પોત-પોતાની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ સોંપી હતી. બંને દેશોના ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યા હતા. આ પછી બંને વડાપ્રધાનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘હોલ ઓફ ફેમ મ્યુઝિયમ’ની પણ મુલાકાત લીધી હતી.
અલ્બનીઝ બુધવારના રોજ સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રાત્રે ગુજરાત પહોંચ્યા હતા.
અલ્બનીઝે કહ્યું હતું કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.